ગીતા, માત્ર ‘ધર્મગ્રંથ’ કે ‘વિશ્વગ્રંથ’…?
શંખ ફૂંકાઈ રહ્યો છે, યુદ્ધના બિગુલ વાગી રહ્યા છે, ધૂળની ડમરીઓ ઉડી રહી છે, સૂર્ય દેદીપ્યમાન જણાઈ રહ્યો છે, ધર્મ-અધર્મની લડાઈના રણશિંગ ગાજી રહ્યા છે, દેવતાઓ શ્રોતાગણ ભાયા છે, વાદળને ફાડીને કિરણો મહારથીઓના મુગટ પર અથડાઈને સમરાંગણને તેજસ્વી બનાવી રહ્યા છે, અઢાર-અઢાર અક્ષૌહિણી સૈન્યની વચ્ચે સારથી કૃષ્ણ અર્જુનના રથને મેદાનની વચ્ચે લાવીને ઉભો રાખે છે, સામે ગુરુ-પિતામહ-જયેષ્ઠ બંધુ-અનુજ ને જોઇને તેના ગાત્રો શીથીલ થાય છે, ‘ગાંડીવ’ હાથમાંથી સરી પડે છે, ‘નૈનં છિદન્તી શસ્ત્રાણી, નૈનં દહતિ પાવક:|’ કહીને અર્જુન બેસી જાય છે ત્યારે કુરુક્ષેત્રના મેદાનમાં માગશર સુદ એકાદશીના દિવસે મધ્યાહને ‘માધવ’ના મુખારવિંદમાંથી અમૃત સરી પડે છે અને તે નવનીત એટલે ‘શ્રીમદ ભગવદ ગીતા’.
“Gita is not the Bible of Hinduism but it is the Bible of Humanity.” છતાં “તમારો ધર્મગ્રંથ કયો?” એમ કહીને મશ્કરી ઉડાવતી ઘાઘરઘેલી પબ્લિકને ગૌરવપૂર્વક કહી શકીએ છે, “ગીતા એ અમારો વિશ્વધર્મ ગ્રંથ છે.” વાંગ્મય રસિકોને ગીતામાં વાંગ્મયિન સૌન્દર્ય દેખાય છે. સાહિત્યના શોખીનોનો શોખ પોષે છે, કર્મ્વીરોને કર્મ કરવાની પ્રેરણા આપે છે, જ્ઞાનીઓને જ્ઞાનગંગામાં ડૂબકી મરાવે છે, ભક્તોને ભક્તિનું રહસ્ય સમજાવે છે. વેદ,ઉપનિષદ, શાસ્ત્રો, યોગ દરેકના મહાસાગર જેવા જ્ઞાનસાગરને નાનકડી ગાગરમાં સમાવી લીધા છે.
આટલું અમૂલ્ય તત્વજ્ઞાન માનવમાત્રને આપ્યા પછી પણ ભગવાન સ્વમુખે કહે છે કે, “આમાં મારું કઈ મૌલિક નથી. ‘ ઋષિભીર્બહુધા ગીતં…’ અર્થાત, ઋષિઓએ જે અનેકવાર ગાયું છે તેને જ ફરીથી હું કહું છું. આ ભગવાનની નમ્રતા પર પ્રસન થઈને આદ્ય શંકરાચાર્ય એક સ્તોત્રમાં ભગવાન શ્રીકૃષ્ણને ‘મેઘસુન્દરમ’ કહીને બિરદાવે છે. સમુદ્રમાંથી પાણી ખેંચીને નિર્માણ થતા મેઘનું પાણી ભલે પોતાનું ના હોય પરંતુ મીઠાસ તો એની પોતાની જ છે. અને ભગવાન કૃષ્ણને જયારે ‘ઉત્તિષ્ઠ કૌન્તેય’ કહીને ઉભો કરે છે અર્જુનને ત્યારે એનો આશય માત્ર યુદ્ધ પુરતો જ નહોતો. વર્ષો પછી પણ જયારે લાચાર-દિન-દુબળો-બાપડો-નિરાશ-અસહાય-હીન માનવ થશે ત્યારે પણ આ તત્વજ્ઞાન આત્માની માફક જીવંત રહેશે અને ત્યારે આવા ‘અર્જુનો’ ને ઉભા કરશે. ભગવાને તો અર્જુનને નિમિત્તમાત્ર બનાવ્યો છે. “કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં” ના મુખમાંથી નીકળેલું આ વાંગ્મય માનવને જીવન જીવવાની હિંમત આપે છે. ગીતામાં દરેક પ્રશ્નોનો જવાબ છે. તમે પૂછશો કે “મારી સાયકલ ને પંચર પડ્યું છે, એનો ઉત્તર ગીતા માં છે ખરો?” હા, ચોક્કસ છે. ગીતા કહે છે, કે “બેસી રહેવાથી કઈ સારું નથી થવાનું. કર્મ કર.” આમ કહીને કર્મયોગ શીખવે છે. ભક્તિયોગ અને જ્ઞાનયોગ શીખવે છે.
“ગીતા એ માનવજીવનનું રહસ્ય છે. ‘રાગ’ અને ‘ત્યાગ’ વચ્ચે ઝુલતા માનવીની કથા છે. ભક્ત અને ભગવાન વચ્ચેનો મધુર સંવાદ છે. કર્મ-અકર્મ , દરમ-અધર્મનો વિવાદ છે અને ભોગવિલાસ માટેનો વિખવાદ પણ છે. ફરજથી પલાયનવાદ છે અને છળ-કપટનો રાજવાદ પણ છે. ગુરુનો અમર્યાદ પુત્રપ્રેમ છે જયારે પિતામહનું મૌન પણ છે. સ્ત્રીની આબરૂનો વિધ્વંસ પણ છે અને એના પુરાતા ચીર પણ છે. કુરુક્ષેત્રમાં ધર્મની રાહે અર્જુનનો વિશાદ છે અને કૃષ્ણનું વિરાટ વિશ્વરૂપદર્શન પણ છે. ભગવાનની વિભુતોનું વર્ણન છે અને અંતે આશીર્વાદરૂપ ધન્યવાદ પણ છે.”
સમગ્ર ‘ગીતા’માં ‘હિંદુ’ શબ્દનો કોઈ પણ જગ્યાએ ઉલ્લેખ જોવા નથી મળતો. તેના પરથી જ સાબિત થાય છે કે આ વૈશ્વિક ધર્મગ્રંથ છે. ભક્તિરસનું પણ સચોટ અને સટીક વર્ણન કરવામાં આવ્યું છે. શ્રવણ,કીર્તન,સ્મરણ,પાદસેવન,અર્ચન,વંદન,દાસ્ય,સખ્યઅ અને આત્મનિવેદન. ભગવાન પાર્થના જ સારથી કેમ બન્યા? કારણ,
સાગરના તરંગમાં, ઝરણાના ઉમંગમાં,
પુષ્પની સુવાસમાં, કવિની કવિતામાં,
મધની મધુરતામાં, તાલની લયબદ્ધતામાં,
જ્યાં જુઓ ત્યાં જણાય છે ભક્તિની સુવાસ.
અને એટલે જ પાર્થ છે પ્રભુને પ્રિય. અને ભગવાન કૃષ્ણ અર્જુનને ‘પાંડવાનામ ધનંજય’ કહે છે. કે ‘પાંડવોમાં તુ શ્રેષ્ઠ છે.’
કેટલુક જનરલ નોલેજ, જે કદાચ હોવું જરૂરી છે.
મહાભારતના કુલ ૧૮ પર્વો, એમાંથી જે પર્વમાં ‘ગીતા’ ગવાઈ તે એટલે છટ્ઠો પર્વ એટલે ‘ભીષ્મપર્વ’. ‘ભીષ્મપર્વ’ના ૨૫ થી ૪૨ અધ્યાયના કુલ ૧૮ અધ્યાય એટલે જ ગીતા. ૧૮ અધ્યાયના કુલ ૭૦૦ શ્લોક. ‘ગીતા’ એટલે ચાર વ્યક્તિઓનો સંવાદ. અને એ ચાર વ્યક્તિ એટલે ધ્રુતરાષ્ટ્ર, સંજય, અર્જુન અને શ્રીકૃષ્ણ. ‘ગીતા’ને છંદબદ્ધ કરનાર એટલે વેદવ્યાસ અને એના સાક્ષી એટલે ગણેશ.
ટહુકો:
“યત્ર યોગેશ્વર: કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર: |
તત્ર શ્રીર્વિજયો ભુતીર્ધ્રુવા નીતિર્મતીર્મમ: ||
અર્થાત, “હે રાજન ! જ્યાં યોગેશ્વર ભગવાન શ્રીકૃષ્ણ છે અને જ્યાં ગાંડીવધારી અર્જુન છે, ત્યાં જ શ્રી,વિજય,વિભૂતિ અને નીતિ અચળ છે.”(અધ્યાય ૧૮- શ્લોક ૭૮)
Comments
mike cruikshank profit maximiser
You have to have the details of the product, the many benefits of owning it, plus a Call To Action. However, if you
don’t take the necessary steps, things will be very
difficult. It is because as you make a sale, you can earn a
commission of %50 or %75 of the products price.